નવજાત શિશુની સંભાળ Care of the newborn

નવજાત શિશુની સંભાળ

નવજાત શિશુની સંભાળ


ગર્ભાધાનથી માંડીને પ્રસૂતિ સુધીનો લગભગ નવ માસ કરતાંય વધારે સમય માતાના સુરક્ષિત ઉદરમાં વિતાવીને શિશુ જ્યારે જન્મે છે , ત્યારે તેને માટે એક તદ્દન નવા વાતાવરણનો અનુભવ થોડો ઘણો કપરો તો ખરો જ ! નવ મહિના જે વાતાવરણમાં તે રહ્યું હોય , તેના કરતાં સાવ ભિન્ન વાતાવરણમાં આવતાંની સાથે જ એક ક્ષણમાં તેને ટેવાઈ જવું પડે છે . જે બાળક પ્રસૂતિની કોઈ તકલીફ વિના પૂરા મહિને જન્મ્યું હોય , લગભગ અઢી કિલોગ્રામથી વધુ વજન ધરાવતું હોય , જન્મતાંની સાથે રડવા લાગ્યું હોય અને જેને કોઈ ખોડખાંપણ ન હોય તેને સામાન્ય રીતે તંદુરસ્ત બાળક ગણી શકાય . 

સામાન્ય રીતે બાળક જન્મીને સૌપ્રથમ રડવાની પ્રવૃત્તિ કરે છે , કેમ કે તેને જીવતા રહેવા માટે રડવું જરૂરી છે . રડવાથી બાળકની શ્વસનક્રિયા ચાલુ થાય છે . તેનાં ફેફસાંની બંધ કોથળીઓ ચાલુ થાય છે અને શ્વાસ દ્વારા લીધેલો પ્રાણવાયુ લોહીમાં ભળી જાય છે . જીવનના પ્રારંભથી શરૂ થયેલી શ્વાસોચ્છ્વાસની આ લયબદ્ધ પ્રક્રિયા જેટલી સરળ અને અસરકારક હોય તેટલું બાળકનું જીવન તંદુરસ્ત અને આયુષ્ય લાંબું થાય છે . કદાચ કોઈ બાળક જન્મ્યા પછી થોડી ક્ષણોમાં ન રડે તો , તેનું જીવન જોખમમાં છે એમ કહી શકાય . પ્રસૂતિસ્થળે નિષ્ણાત દાયણ કે દાક્તર હાજર ન હોય તો બાળકને હળવેથી તેના વાંસા પર થાબડવું . કદાચ તેમ કરવાથી એ રડે પણ ખરું ! ઠંડું પાણી છાંટવાથી પણ બાળક ઉત્તેજિત થતાં રડવાનું શરૂ કરે છે . પ્રસૂતિગૃહનું પર્યાવરણ : કેટલાંક ઘરોમાં અને પ્રસૂતિગૃહોમાં જ્યાં અનુભવી દાયણો હોય છે , ત્યાં પણ બાળકના જન્મ પછી તેની સલામતી માટે કેટલાક ખોટા ઉપાયો યોજવામાં આવે છે . પ્રસૂતિ બાદ પ્રસુતિગૃહનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવે છે કે પડદા બાંધી દેવામાં આવે છે . પરિણામે ચોખ્ખી હવા અને ઉજાસના માર્ગો બંધ થઈ જાય છે . નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે આ સલામતીભર્યું નથી . પ્રસૂતિખંડમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને શુદ્ધ હવાની અવરજવર રહેવી જોઈએ . આ ખંડમાં સ્વચ્છતા , બિનજરૂરી ચીજવસ્તુઓની ગેરહાજરી તથા શાંતિ ખુબ આવશ્યક છે . પ્રસૂતાના ખબરઅંતર પૂછવાને બહાને ત્યાં એકત્ર થતું શ્રીવૃન્દ અને તેમની મોટેમોટેથી થતી વાર્તાનો ઘોંઘાટ નવજાત બાળકને ત્રાસરૂપ નીવડે છે . ઉનાળાની ગરમી કે શિયાળાની ઠંડીમાંથી બાળકને બચાવવા પંખો કે ઉષ્મા આપનારાં સાધનો વાપરવાં ઇચ્છનીય છે . હવા , અવાજ અને ખોરાક , પાણી કે ઔષધોથી પેદા થતું પ્રદૂષણ અટકાવવું જરૂરી છે . આવાં પ્રદૂષણને કારણે બાળકનું આરોગ્ય જોખમાય છે . વાતાવરણમાં રોગનાં સૂક્ષ્મ જતુંઓ હોય છે , જે બાળકના શ્વાસ દ્વારા તેના શરીરમાં પ્રવેશી તેના કોમળ જીવનકોષોને નુકસાન પહોંચાડે છે . બાળકને તેનાથી બચાવવા પ્રસૂતિખંડની સ્વચ્છતાને સુઘડતાની તેમજ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી થવી જોઈએ . વારંવાર પ્રસૂતિખંડમાં ધૂપ અને ધુમાડો કરવાનું પણ ઉચિત નથી , કેમ કે તેમ કરવાથી નવજાત શિશુની શ્વસનક્રિયા રૂંધાય છે , અને તેની આંખો બળે છે . હા , દિવસમાં એકાદ વખત ફિનાઇલના મંદ દ્રાવણથી ખંડની સફાઈ કરી લેવી . 

જન્મ પછી :

 બાળકના જન્મ પછી તેની શ્વસનક્રિયા બરોબર ચાલુ થવી જોઈએ . તે પછી તેને કોકરવરણા સ્વચ્છ પાણી વડે , મુલાયમ ટુવાલથી સાફ કરીને , ચોખ્ખા સુતરાઉ કપડામાં લપેટી , પોચી પથારી પર સુવાડવું . તેની બંને આંખો જુદાં જુદાં પૂમાંથી સાફ કરવી . તેવી જ રીતે બંને કાન , નાક અને મોં પૂમડાંથી સાફ કરવાં , તે પછી તેનું વજન કરીને તેની નોંધ કરવી . એક વાત ન ભુલવી જોઇએ કે , નવજાત શિશુની આટલી પ્રાથમિક સંભાળ લીધા પછી તેને તેની માતાની સાથે સુવાડવું જોઈએ . તેમ કરવાથી માતા અને બાળક વચ્ચે પ્રેમસેતુ બંધાય છે . માતાના સાન્નિધ્યથી બાળકને સલામતી અને વાત્સલ્યનું કવચ પ્રાપ્ત થાય છે .

નવજાત શિશુની સંભાળ


 ચામડીની સંભાળ 

 નવજાત શિશુની ત્વચા એટલી બધી કુમળી અને સંવેદનશીલ હોય છે કે , તેને પહેરાવવામાં આવેલ કપડાંથી , તેના માટે પાથરેલી પથારીથી કે જંતુ યા મચ્છરના ડંખથી તેને બહુ નુકસાન થાય છે . તેથી તેની પૂરતી સંભાળ રાખવી જરૂરી છે . જ્યારે બાળક અધૂરા માસે જન્મ્યું હોય ત્યારે તો તેની ચામડીની ખૂબ જ સંભાળ રાખવી પડે છે . ખાસ કરીને આવા બાળકને સુંવાળા કપડામાં અને સ્વચ્છ રૂના પડમાં વીંટીને રાખવામાં આવે છે . કેટલીક વાર નવજાત બાળકની ત્વચા પર વાદળી કે રાતા - જાંબલી રંગના ડાઘ હોય છે . મોટા ભાગે તો તે ધીમેધીમે આપોઆપ ઓછા થઈ જાય છે . કેટલાક દાખલાઓમાં આ રાતા - જાંબલી રંગના ડાધા કાયમ રહે છે . આવા ડાઘને ‘ લાખું ’ કહે છે . તે માટે કોઈ તાત્કાલિક ઉપાયની જરૂર રહેતી નથી . કેટલાક કિસ્સાઓમાં બાળકના જન્મ પછી બે - ત્રણ દિવસમાં તેની ત્વચા પર લાલ કે સફેદ રંગની નાની નાની ફોલ્લીઓ થાય છે . તેનાથી પણ ગભરાવાની જરૂર નથી . ધીમેધીમે તે પણ શમી જાય છે .

 બાળકના જન્મ પછી તરત જે તેના શરીર પરથી લોહી અને અન્ય ચીકણા પદાર્થો સાફ કરીને તેને સદરો પહેરાવી દેવો જોઈએ . તેનું માથું પણ મુલાયમ કપડાથી કે ટોપીથી ઢાંકેલું રાખવું . ઠંડીના દિવસો હોય તો સુતરાઉ સદરા ઉપર ગરમ ખુલ્લું કપડું ઓઢાડવું . એક - બે દિવસ પછી ઉકાળેલા પાણીને નવશેકું કરીને બાળકને નવડાવી શકાય . હા  ગ્લિસરીનયુક્ત સાબુનો અથવા કાર્બોલિક સાબુનો ઉપયોગ પણ કરી શકાય . નવજાત શિશુને સ્નાન કરાવવાની ક્રિયા ખૂબ કાળજી માગી લે છે . તેમાં ઉતાવળ કે અણઘડપણું ન ચાલે . બાળકનું ગળું , બગલ અને સાથળ ઇત્યાદિ અંગોને બરોબર સાફ કરવાં તથા મોં , નાક , આંખ અને કાનમાં પાણી દાખલ ન થઈ જાય તેની તકેદારી રાખવી . ચોખ્ખા ફલાલીન જેવા કપડાથી તેનું શરીર લૂછી લેવું . ઠંડી ઋતુમાં બાળકને નવડાવ્યા પછી ચામડી સૂકી લાગે તો તેના શરીરે તલના તેલથી હળવા હાથે માલિસ કરવું . 

નવજાત શિશુની સંભાળ


આંખની સંભાળ 

 બાળકની બંને આંખો , ઉકાળીને નવશેકા કરેલા સ્વચ્છ પાણીથી જુદાં જુદાં રૂનાં પૂમડાંથી દરરોજ સાફ કરવી . જો આંખ ચોંટતી જણાય કે તેમાં પીયા દેખાય તો ઉકાળીને સ્વચ્છ કરેલા પાણીથી કે તેવા પાણીમાં બોરિક પાઉડર નાખીને આંખો ધોવી . અન્ય કોઈ વિક્રિયા દેખાય તો દાક્તરની સલાહ લેવી . કોઈ વાર આંખમાં લોહીનાં ટીપાં જેવો ભાગ દેખાય તો ગભરાવાની જરૂર નથી . સમય જતાં તે આપમેળે બરોબર થઈ જાય છે . આંખમાં કાજળ આંજવાની કોઈ જરૂર રહેતી નથી .

નવજાત શિશુની સંભાળ


મોઢા - કાનની સંભાળ 

 કોઈ બાળકના માથા પર તાળવાના ભાગે ખોડાના જેવાં પોપડાં જામેલાં દેખાય છે . તેનાથી મૂંઝાવાની જરૂર નથી . વખત જતાં તે કુદરતી રીતે જતાં રહે છે . હા , જરૂર મુજબ તેના પર તેલ કે દિવેલ હળવા હાથે ઘસવું , બાળકના કાનમાં અવારનવાર રૂવાળી સળી હળવેથી ફેરવવી , જેથી કાનમાં મેલ જામે નહિ . કાનમાં તેલ નાખવાની કે કઠણ સળી યા સાધનથી ખોતરવાની જરૂર નથી . તે હાનિકારક છે .

નવજાત શિશુની સંભાળ


 ડૂંટી - નાળની સંભાળ 

શરૂઆતમાં દર છ કલાકે નવજાત શિશુના નાળની તપાસ કરવી જરૂરી છે . જો તેમાંથી લોહી નીકળતું લાગે તો તેને ફરી વાર દોરાથી બાંધી શકાય . તેમ છતાં પણ જો લોહી નીકળવાનું ચાલુ રહે તો દાક્તરની સલાહ લેવી . સામાન્ય રીતે સ્પિરિટ અથવા જંતુનાશક દવા ( ડેટોલ કે સેવલોન ) ના દ્રાવણવાળા પૂમડાથી નાળ સાફ કરી , નિયોસ્પોરિન જેવો જંતુનાશક પાઉડર લગાડી સ્વચ્છ કપડાનો પાટો બાંધી દેવો . આમ કરવાથી પાંચથી દશ દિવસમાં નાળ સુકાઈને ખરી પડે છે . જો નાળ ખરી પડચા પછી તે જગા બહુ સૂકી અને બરછટ લાગે અને ચામડી ખેંચાય તો નિયોસ્પોરિન મલમ તે જગા પર લગાવી શકાય .

નવજાત શિશુની સંભાળ


 રસી મુકાવવી 

 જે બાળકોનો જન્મ હૉસ્પિટલ - પ્રસૂતિગૃહમાં થયો હોય તેમને તો રજા આપતાં પહેલાં હૉસ્પિટલના દાક્તરો જરૂરી રસી મૂકે જ છે . સામાન્યત : તે વખતે બી.સી.જી.ની રસી અને ત્રીજા મહિનાથી ત્રિગુણી અને પોલીઓ રસીનો પહેલો ડોઝ આપી તે રસીનો કોર્સ શરૂ કરાય છે , જેનાથી બાળકમાં ક્ષયરોગ ( ટી.બી. ) અને પોલીઓ તેમજ ડિસ્થેરિયા , ઉટાંટિયું તથા ધનુર રોગ સામે ટકવાની પ્રતિકારશક્તિ ઉત્પન્ન થાય છે . બાળકનું પોષણ : 

બાળક જો તંદુરસ્ત જન્મ્યું હોય તો વહેલામાં વહેલી તકે તેને માનું ધાવણ આપવાની શરૂઆત કરી શકાય . હા , જન્મ પછી જ્યારે બાળકમાં ચેતના આવે ત્યારે પ્રથમ પીણા તરીકે તેને ઠારેલું પાણી કે ગ્લુકોઝનું પાણી પણ આપી શકાય . છતાં બાળકને સ્તન ચૂસવા દેવાની ક્રિયા કરાવવી જરૂરી છે , કેમ કે તે કરવાથી બાળકને કોલોસ્ટ્રમ્ મળે છે અને માતાને ધાવણ આવવાનું સરળ બને છે .

વધુ નવું વધુ જૂનું

સંપર્ક ફોર્મ